(રાગ : ધોવા દ્યો રઘુરાય)
લેખ લખ્યા નવ જાય.
ઓ વિધિ તારા લેખ લખ્યા નવ જાય
રામ-લક્ષ્મણ ને જાનકીજી
ચૌદ વરસ વન કેમ જાય ?
ઓ વિધિ..
રામ સરીખા સ્વામી છે જેના
સીતાનું હરણ કેમ થાય ?
ઓ વિધિ..
પાંચ પાંડવો સાથે કુંતા માતાજી,
બાર વરસ વન કેમ જાય ?
ઓ વિધિ..
શામળિયાની સહાય છે જેને
એવી દ્રૌપદીનાં ચીર કેમ ખેંચાય ?
ઓ વિધિ..
મયૂરધ્વજ રાજા ભગત તમારો, કરવતે કેમ વે’રાય ?
શેઠ સગાળશા ને ચંગાવતી રાણી,
દાસ તમારા ગણાય.
ઓ વિધિ..
કા’ન કુંવર જેવો ચેલૈયો જેને,
ખાંડણીએ કેમ ખંડાય ?
ઓ વિધિ..
હરિશ્ચંદ્ર રાજાને તારામતી રાણી,
ભર બજારે કેમ વેચાય ?
ઓ વિધિ..
ચૌદ ભુવનનો નાથ ભોળો કહેવાયો,
છતાં ભીલડીએ કેમ ભરમાયો ?
સખીઓ તારી પ્રેમથી પોકારે,
ભજ્યે ભવ તરી જવાય.
ઓ વિધિ..